માઈગ્રેન / આધાશીશી / MIGRAINE

 માઈગ્રેન વિશે જાણો
  • માઈગ્રેન ( આધાશીશી ) એ ખૂબ જ જૂનો અને જાણીતો રોગ છે. વારંવાર / અવારનવાર માથાનો ચોક્કસ પ્રકારનો દુખાવો થવો તે આ રોગની ખાસિયત છે.
  • મહદ્‌અંશે તે અર્ધામાથામાં થતો હોવાથી તેને આધાશીશી પણ કહેવાય છે
  • માઈગ્રેન મોટાભાગે ૨૫-૫૫ વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે. તેમ છતા બાળકોમાં આ રોગ થવાની શક્યતા નકારી શકાય નહી.
  • ૧૫-૨૦% સ્ત્રીઓમાં  અને ૯-૧૦% પુરુષોમાં જોવા મળે છે.
માઈગ્રેન થવાનાં કારણોઃ
આ રોગ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.તો પણ એવું માનવામાં આવે છે કેઃ
મગજમાં દુઃખાવાનું નિયંત્રણ કરતાં કેન્દ્રો ( Trigeminal Vascular System ), કે જે મગજમાં લોહી પહોંચાડતી નળીઓના સંકોચન અને ફુલાવાની ક્રિયાનું નિયમન કરતા હોય છે, તેમાં રસાયણ અને તરંગોની અસ્થિરતાઊભી થવાને કારણે આધાશીશી થાય છે.
(૧) આ અસ્થિરતા તાસીર પર આધારિત હોય છે 
(૨) મોટાભાગનાં દર્દીઓમાં આનુવંશિક હોય છે. આ ઉપરાંત
ઘણાં બધાં કારણો તરંગોની અસ્થિરતા ઊભી કરી શકે છે જેવાં કે......
શરીર ને લગતાં કારણો : ઊજાગરો, ઉપવાસ / એક્ટાણાં કરવાથી, વધુ પડતી ઊંઘથી, માનસિક તાણ / ચિંતા, મેનોપોઝ / માસિક દરમિયાન, નિયમિત રોજિંદી ક્રિયાઓના સમયમાં ફેરફાર, પ્રવાસ વગેરે શારીરિક કારણે માઈગ્રેનને આમંત્રે છે.
વાતાવરણને લગતાં કારણો : ઘોંઘાટ, સૂર્ય પ્રકાશ, ઋતુમાં ફેરફાર / ભેજવાળુ વાતાવરણ, તીવ્રવાસ વગેરે.
ખોરાકને લગતાં કારણો : આલ્કોહોલ, ચીઝ-ચોકોલેટ, ખાટાં ફળો, ઘી / તેલવાળો ખોરાક, આથાવાળી વસ્તુ, ચાઈનીઝ ફૂડ, કોફી વગેરે.
 


૧, માઈગ્રેનનાં લક્ષણો

• માથાનો આ દુઃખાવા મોટાભાગે, અડધા માથામાં (જમણી / ડાબી બાજુ) થતો હોવાથી આધાશીર કહેવાય છે. પણ બંને બાજુ પણ થઈ શકે છે. એક તરફથી આંખ / કપાળના ભાગે પણ થઈ શકે છે.

• સબાકા / સણકા / લબકારા થાય.

• પ્રકાશ અને અવાજ સહન ન થાય.

• દુઃખાવો ૪ થી ૭૨ કલાક સુધી તકી રહે.

• ઘણીવાર ઊબકા/ઊલ્ટી થાય. ઊલટી થવાથી ઘણા દર્દીને દુઃખાવામાં રાહત થાય છે.

• આંખ સામે ઝબકારા કે અંધારા આવી શકે.

• મહિનામાં આશરે ૧ થી ૬ વાર થઈ શકે.જો યોગ્ય સારવાર ન લેવાય તો પછી તે ભવિષ્યમાં દરરોજ (Transformed Migraine) થઈ શકે છે.

 

૨, માઈગ્રેનની સારવાર

૧. માઈગ્રેનના હુમલા દરમ્યાન લેવાના ઔષધો / દવા

• આ દવાઓમાં મોટે ભાગે દુઃખાવાની દવા (pain killer) હોય છે.

• આ દવા માથું અતી દુઃખે ત્યારે જ લેવાની હોય છે. જે જરૂર મુજબ દિવસમાં બે થી ત્રણ વાર લઈ શકાય.

• ડૉક્ટરને મહિનામાં કેટલીવાર આ દવાઓ લેવી પડે છે તે જણાવવું.

• જો મહિનામાં ૧૦ થી વધારે ગોળીઓ ખાવી પડે તો તરત ડૉક્ટર ને બતાવવું.

• આધાશીર માટે જ, ખાસ પ્રકારની દુઃખાવાની દવાઓ પણ ઉપલબ્ધ  છે.

૨. હુમલાને આવતો અટકાવવા માટેના ખાસ ઔષધો / દવા

આવી દવાઓનીજરૂરિયાત નીચેના દર્દીઓમાં પડે છે.

• જે દર્દીને મહિનામાં ત્રણ કે તેથી વધુ વાર દુઃખાવો થતો હોય.

• મહિનામાં ત્રણ કે તેથી વધુ દિવસ આધાશીશીના કારણે રોજિંદી ક્રિયા ન કરી શકતા હોય.

• હુમલા દરમ્યાન લેવાની દવા અઠવાડિયામાં બે થી વધુ વાર લેવી પડતી હોય / અસર ન થતી હોય.

• એવી આધાશીશીનો પ્રકાર કે જેનાથી મગજને નુકસાન પહોંચવાની શક્યતા હોય.

• આ દવાનો કોર્ષ ૬ મહિનાથી ૧ વર્ષ સુધીનો હોય છે, જે દર્દીને રાહત થયા બાદ ધીમે ધીમે બંધ થાય છે.

• આ દવાઓથી દુખાવો હંમેશાં માટે સંપૂર્ણ નાબૂદ થતો નથી. પરંતુ હળવો / નબળો તથા નડે નહીં તેવો થાય છે.

• આ કોર્ષ કરવાથી દુખાવાની દવાનો વધુ પડતો ઉપયોગ ટાળી શકાય છે, રોજનો દુઃખાવો ટાળી શકાય છે.

 

૩, માઈગ્રેનનાં દર્દીએ રાખવાની કાળજી

• નિયમિત દવા લેવી, ઉપવાસ / ઉજાગરા ન કરવા.

• તડકામાં જવાનું ટાળવું / ગોગલ્સ પહેરીને જવું.

• માથાના દુઃખાવાની અને હુમલા દરમ્યાન લેવાનાં ઔષધોની વિસ્તૃત નોંધ રાખવી.

• આહારમાં નિયમિતતા રાખવી, માથાનો દુઃખાવો થાય ત્યારે ૨૪ કલાક પહેલાં લીધેલા ખોરાકની નોંધ રાખવી અને જે ખોરાકથી દુઃખાવો થતો હોય તે લેવો નહીં.

• યોગાસન / પ્રાણાયામ કરવાં.

• ખટાશ / અથાણાં / ડુંગળી / આથાવાળી વસ્તુ (બ્રેડ / ઇડલી / ઢોકળા વગેરે) / ચીઝ / મેગી / ચાઈનીઝ / ચોકલેટ્સ વગેરે લેવા નહીં.  બધાં દર્દીઓની તાસીર અલગ હોય છે ઉપર જણાવેલી જે વસ્તુ થી માથું દુઃખે તે ન ખાવી, બીજી વસ્તુઓ લઈ શકાય.